જામનગરમાં રખડતાં પશુઓ અને શેરીઓમાં રખડતાં શ્વાનની સમસ્યા વિકરાળ બની હોવાં છતાં સૌ પોતપોતાનામાં વ્યસ્ત છે ! નગરજનોની કોઈને કશી ચિંતા નથી! શનિવારે શહેરનાં બેડી વિસ્તારમાં કૂતરાંઓ કરડવાના ચારેક બનાવો બન્યા હતા. આ ઉપરાંત પંજાબ બેન્ક નજીકનાં ચૌહાણ ફળી વિસ્તારમાં ચાર- પાંચ જેટલાં કૂતરાંઓએ ૫૬ વર્ષનાં જનકબેન મુકેશભાઈ સોઢા નામનાં મહિલા પર હૂમલો કર્યો હતો. તેઓને મોંઢા, હાથ તથા શરીરનાં અન્ય અંગોમા ગંભીર ઈજાઓ પહોંચી છે. તેઓને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. આથી પણ ગંભીર મુદ્દો એ છે કે, કોર્પોરેશનનાં અધિકારીઓ અને પદાધિકારીઓ તથા નગરસેવકો નગરજનોની આ પ્રકારની સમસ્યાઓ અંગે જરા પણ ગંભીર નથી ! નગરજનો નું કોઈ નથી ! છેક ચૂંટણી સમયે નગરજનોની જરૂર પડશે. ત્યાં સુધી બધું આમ જ ચાલતું રહેશે કે પછી નગરજનો ખુદ ચૂંટણી સમયે આ બધું યાદ રાખશે ?! આ પ્રશ્નનો જવાબ સમય આપશે.