મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

સપ્ટેમ્બર 21, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

હાઈવે પર દૂધનું વાહન અટકાવવામાં આવ્યું...

     આજે ૨૧ મી સપ્ટેમ્બર, ગુજરાત સરકારનાં સૂચિત પશુ નિયંત્રણ ખરડાના વિરોધમાં સમગ્ર રાજ્યમાં પશુપાલકો અને દૂધનાં ધંધાર્થીઓએ " આજે દૂધ બંધ " એવું એલાન આપ્યું છે. આ બંધને સફળ બનાવવા કેટલાંક શખ્સોએ કાલે મંગળવારે રાત્રે લાલપુર બાયપાસ ચોકડી નજીક અમૂલ કંપનીનાં દૂધનાં વાહનને અટકાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ કારણસર પોલીસ ઘટનાસ્થળે સમયસર પહોંચી જતાં આ વાહનને સલામત રીતે મુક્ત કરવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં કોઈની અટકાયત કરવામાં આવી હોય, એવું જાહેર થયું નથી.  

ચાર લાંચિયા અધિકારીઓ ઝડપાઈ ગયા

     ગુજરાતનાં લાંચ રૂશ્વત વિરોધી તંત્રએ કાલે મંગળવારે સુરત, વડોદરા, મહિસાગર અને ભરૂચ એમ કુલ ચાર જિલ્લાઓમાં લાંચના છટકા ગોઠવી કુલ ચાર સરકારી અધિકારીઓને ઝડપી લીધાં છે. સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશભરમાં લાંચ પ્રથા દાયકાઓ જૂની છે. પ્રત્યેક સરકારી વિભાગો માં જ્યાં પણ નાણાંકીય લેવડદેવડ થતી હોય અથવા નાણાં મંજૂર કરવાની જેઓની સતા હોય તેવાં અધિકારીઓ અને કર્મચારીઓ બેફામ ભ્રષ્ટાચાર કરે છે તે આપણે સૌ જાણીએ છીએ. ઉચ્ચ અધિકારીઓ આ પ્રકારની ભ્રષ્ટ પ્રવૃત્તિઓ શા માટે ચલાવી લ્યે છે ? તે પણ તપાસનો વિષય લેખાવી શકાય. સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારને નાથવામાં સરકારનો પન્નો ટૂંકો પડી રહ્યો છે. એસીબી ની કાર્યવાહી ઓ છતાં પ્રત્યેક કચેરીઓમાં વિવિધ પદ્ધતિઓ દ્વારા બેફામપણે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. દર વર્ષે મહેસૂલ વિભાગ તથા પોલીસ વિભાગ ભ્રષ્ટાચારમાં પ્રથમ અને બીજાં ક્રમે રહે છે !! અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નવા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જેહાદ આરંભી હતી. પછી ગુજરાત સરકારે તેઓનું મંત્રીપદ છીનવી લીધું !  

ચોખાનાં ૩૧૭ બાચકા સાથે બે શખ્સો ઝડપાયા

     જામનગર SOG એ બે શખ્સોને ચોખાનાં ૩૧૭ બાચકા ( ૧૭,૦૭૦ કિલો) સાથે ઝડપી લીધા છે. આ જથ્થાને શક પડતી મિલકત તરીકે કબજે લેવામાં આવ્યા છે. ઇન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગરચરની ટીમે આ કામગીરી કરી હતી. નવા પીઆઈ આવ્યા પછી આ પ્રકારની કામગીરી પ્રથમ વખત થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર માં ઘણાં વર્ષોથી પંજાબી સહિતનાં પરપ્રાંતિય શખસો કોઈ પણ પ્રકારના બિલ આધારો વિના શેરીએ શેરીએ ચોખાનું વેચાણ કરતાં જોવા મળે છે.      આ બંને શખ્સો રાજકોટ નાં છે. એકનું નામ મયંક અશોક સોજિત્રા અને બીજાનું નામ વૈભવ મનસુખ પાનસુરીયા છે. આ શખ્સો દરેડ જીઆઇડીસી વિસ્તારમાં થી ઝડપાયા છે. રાજકોટનાં આ શખ્સો અત્રે ગોડાઉન ભાડે રાખી તેમાં આ ધંધો કરી રહ્યા હતા.  

નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈનનો જામનગરમાં આરંભ

       કાલે મંગળવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા તથા કમિશનર વિજય ખરાડી વગેરેએ શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નં. ૪૬ ખાતે ત્રણ શાળાઓનાં બાળકોને વિવિધ રમતો રમાડી હતી. આ રમતો પૈકી લીંબુ ચમચી રમતમાં ચેરમેન અને કમિશનર પણ સામેલ થયાં હતાં. રસ્સા ખેંચ અને કોથળા દોડ સહિતની રમતો રમાડવામાં આવી હતી. ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને શારીરિક ફીટનેસ અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ તકે સાંસ્કૃતિક સમિતિનાં ચેરપર્સન હર્ષાબા જાડેજા, વોર્ડ નંબર ૧૪ નાં નગરસેવિકાઓ શારદાબેન વીંઝુડા, શોભનાબેન પઠાણ તથા શિક્ષણ સમિતિના સભ્ય બિમલભાઈ વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.      અત્રે ઉલ્લેખનીય છે કે, ૩૬ મો નેશનલ ગેમ્સ મહોત્સવ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતે રમાશે. જેમાં જામનગર નો સમાવેશ કરવામાં આવ્યો નથી, જામનગર માં માત્ર અવેરનેસ (જનજાગૃતિ) કેમ્પેઈન હેઠળ સ્થાનિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

કોર્પોરેશનમાં હંગામી કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર

          જામનગર કોર્પોરેશનમાં પાછલાં નવ વર્ષથી અંદાજે ૧૭ જેટલાં કર્મચારીઓ કેન્દ્ર સરકારની યોજના દીનદયાળ અંત્યોદય યોજના તથા રાષ્ટ્રીય શહેરી આજિવિકા મિશન હેઠળ કામ કરી રહ્યા છે. આ કર્મચારીઓને નવ વર્ષથી પગારવધારો આપવામાં આવ્યો નથી. પગાર પણ અપૂરતો આપવામાં આવે છે. આ કર્મચારીઓનો સમાવેશ કોર્પોરેશનનાં મહેકમમાં કરવામાં આવ્યો નથી એટલે કે તેઓને ઉપલક કર્મચારીઓ ગણવામાં આવે છે. આ બધાં મુદ્દા પર મેનેજરો અને સમાજ સંગઠક કર્મચારીઓએ  મંગળવારે કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.