મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર 21, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભૂગર્ભગટરના કામમાં વીજચોરી!

       બેડીના ખારી વિસ્તારમાં મહાનગરપાલિકાનું ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે. કોન્ટ્રાકટ પી. દાસ ઇન્ફ્ર નામની એજન્સીને આપવામાં આવ્યો છે અને સુપરવાઇઝરની જવાબદારી ભાવિન ગાગલિયા સંભાળે છે.      ગત્ તા. ૧૩ નવેમ્બરે બેડેશ્વર વીજતંત્રના સબ સ્ટેશનના નાયબ ઇજનેર પી.એચ. જાદવએ આ સ્થળે તપાસ કરતાં જાળવા મળ્યું કે, આ કામમાં વીજચોરી થઇ રહી છે.      વીજતંત્રએ બે વીજમોટર, પંખો તથા ૫૦ મીટર કેબલ કબજે લઇ પી. દાસ ઇન્ફ્રા નામની આ કોન્ટાકટ એજન્સીને રૂપિયા સાડા આઠ લાખનો દંડ વીજચોરી સબબ ફટાકાર્યો છે. પીજીવીસીએલના પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી છે.

ગિરનારના રોપ-વેની નબળાઇ છતી થઇ

     જૂનાગઢના ગિરનાર ટેમ્પલ રોપ-વે ની નબળાઇ છતી થઇ છે. કંપનીનો દાવો હતો કે, ૧૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તો પણ કેબિન, રોપ-વે સ્ટ્રકચરને કાંઇ નહીં થાય. તાજેતરમાં તહેવારો દરમ્યાન માત્ર ૪૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો ત્યારે રોપ-વેના સ્ટ્રકચરને તકલીફો થયેલી. પ્રવાસીઓ ચિંતામાં મૂકાયેલાં. આ પ્રવાસીઓની સલામતીની જાળવણી કોની?!

ગૌશાળા માટે લાડુ બનાવાયા

     કોરોના સંક્રમણના કારણે આ વર્ષે જલારામ જયંતિ નિમિતેના સમૂહભોજનના કાર્યક્રમો મોકૂફ છે પરંતુ પરંપરા મુજબ, લોહાણા મહાજન વાડી ખાતે ગૌશાળાની ગાયો માટે મોટી સંખ્યામાં લાડુ બનાવવાની કામગીરી શુક્રવારે અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવેલી.

માસ્ક અંગે કાર્યવાહી

     અમદાવાદમાં શુક્રવારથી કર્ફયૂ લાદવામાં આવ્યા પછી જામનગરના તંત્રને માસ્ક, સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરાવવાનું યાદ આવતાં શુક્રવારે તળાવની પાળ ખાતે માસ્ક અંગેનો દંડ વસૂલવાની કામગીરી શરૂ કરવામાં આવેલી.      જે નગરજનો માસ્ક પહેરે છે, નિયમોનું પાલન કરે છે તેઓના મત એવો છે કે, દંડના બદલે જાહેરમાં ઉઠ-બેસની સજા કે શહેરના ગંદા વિસ્તારોમાં આવા આસામીઓને સફાઇ કરાવવાની સજા કરવી જોઇએ.       અત્રે નોંધનિય છે કે, તહેવારો દરમિયાન તમામ નિયમોના ધજાગરા થયેલાં, લોકો ટોળામાં ધૂમતાં હતાં અને, તંત્રો પણ ગાયબ જ રહ્યા હતાં.

જામનગરમાં છઠ્ઠપૂજાનો કાર્યક્રમ

     જામનગરના વુલનમિલ વિસ્તારમાં રહેતાં ઉત્તરપ્રદેશ-બિહારના શ્રધ્ધાળુ પરિવારો દ્વારા છેલ્લાં ૨૦ વર્ષથી છઠ્ઠપૂજાનો ઉત્સવ મનાવવામાં આવે છે. ૩ દિવસ અન્નજળના ત્યાગ સાથે આ વ્રત ઉજવાય છે. તેમજ ધનધાન્ય પૂજા સાથે સૂર્વદેવને અર્ધ્ય આપવામાં આવે છે. ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, વિપક્ષના નેતા અલ્તાફભાઇ ખફી, દિગુભા જાડેજા વગેરે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં.

જામનગરમાં રંગોળીઓ

     ખંભાળિયા નાકા નજીક ગુલાબબાગમાં રહેતાં સોનાલી સોનીએ ડઝનેક જેટલાં રંગો અને કાચની આભલીઓના ઉપયોગથી સવા પાંચ ફૂટની મહાલક્ષ્મી માતાજીની રંગોળીનું નિર્માણ કર્યું છે. જેની પાછળ ૭ કલાકની મહેનત છે.      શહેરના સુભાષબ્રિજ નજીક રહેતાં માનસી ભરડવા તથા લેનિશા કુકડીયાએ આધુનિક ઇમેજ ધરાવતી વિશાળ રંગોલીનું સર્જન કયું< છે. તેઓ રાજપાર્ક ખાતે વસવાટ કરે છે.

ફરાર આરોપી ઝડપાયો

     જામનગરની પેરોલ ફર્લો સ્વકોડના પીએસઆઇ ગચ્ચરની ટીમે ફરાર આરોપી રાજેન્દ્ર બાબુલાલ ચૌહાણને ઝડપી લીધો છે. આ શખ્સ સીદી પીરની શેરીમાં રહે છે. નેગોશિયેબલ એકટના ગુનામાં તેને બે વર્ષની સજા થયેલી છે. પેરોલ પર છૂટયા પછી નિયત સમયે તે સતાવાળાઓ સમક્ષ હાજર થયો ન હતો અને ભાગી છૂટયો હતો. આ શખ્સને રાજકોટની જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

પ્રભારી સચિવ દ્વારા બેઠક

     તહેવારો પૂર્ણ થયા, કોરોનાનો કકળાટ શરૂ થયો, દરમિયાન જામનગરની કલેકટર કચેરી ખાતે પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાયી આગેવાનીમાં કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી. જેમાં કલેકટર, કમિશનર તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.      જામનગરમાં કોરોના સંદર્ભે કાગારોળ મચાવવાની જરૂર નથી, પૂરતી દવાઓ, વ્યવસ્થા છે. કેસોની સંખ્યા પણ મોટી નથી સર્વેલન્સ વધારવામાં આવશે, વગેરે બેઠકમાં જણાવવામાં આવ્યું છે.