મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

સપ્ટેમ્બર 23, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સફાઇના ફોટાઓ ખેંચાવતા મહાનુભાવો સમક્ષ નગરજનોની રજૂઆત

     વડાપ્રધાનનાં જન્મદિન નિમિત્તે તાજેતરમાં મેયર અને કમિશનર સહિતના મહાનુભાવોએ સફાઇના ફોટાઓ પડાવ્યા હતા. ત્યારબાદ ગુલાબનગર નજીકનાં મોહનનગર આવાસના રહેવાસીઓએ અંજલિ ન્યૂઝ ને પોતાના વિસ્તારમાં ફોટાઓ મોકલ્યા છે અને લખ્યું છે કે, મહાનુભાવો આ વિસ્તારમાં ગંદકી અને રખડતાં પશુઓનાં ભયાનક ત્રાસ અંગે ધ્યાન આપતાં નથી. આ વિસ્તારમાં કોર્પોરેટરો નિષ્ક્રિય હોવાનું લોકોએ કહ્યું છે. આ વિસ્તારમાં ત્રણ મુખ્ય રોડની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકોનો આક્રોશ એવો છે કે, મહાનુભાવો ફોટા પડાવવા સિવાય કશું કરતાં નથી. લોકોની સમસ્યાઓ અંગે ધ્યાન આપવું જોઈએ. મહાનુભાવો દેખાડો કરી રહ્યા છે, એવો પણ આક્ષેપ નગરજનોએ કર્યો હતો.      મોહનનગર આવાસ નજીક ઓમ રેસિડેનસી સહિતના વિસ્તારોમાં આ પ્રકારની સમસ્યાઓ લાંબા સમયથી ચાલી આવે છે, અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી. છતાં કોર્પોરેશન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધ્યાન આપતાં નથી એવી નારાજગી લોકો વ્યક્ત કરી રહ્યા છે.  

રૂ. ૫૧૭ લાખનાં કામો તથા ખર્ચને મંજૂરી આપતી સ્ટેન્ડિંગ કમિટી

     જામનગર કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન મનિષ કટારિયા નાં અધ્યક્ષસ્થાને ગુરૂવારે કમિટીના સભાખંડમાં યોજાઇ હતી જેમાં મેયર તથા કમિશનર અને સભ્યો હાજર રહ્યા હતા.      આ બેઠકમાં કોન્ટ્રાકટરો માટે કામોના સ્ટાર રેટ મંજૂર કરવામાં આવ્યા હતાં. શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓનાં સમારકામ તથા મજબૂતીકરણ માટે રૂ. ૧૫૩ લાખ, કાલાવડ નાકા બહાર કલ્યાણ ચોકથી મોરકંડા બ્રિજ સુધીનો રોડ પહોળો કરી ડામરનો રોડ બનાવવા રૂ. ૧૩૩ લાખ, વિવિધ વિસ્તારોમાં રોડનાં તથા સ્પીડ બ્રેકર નાં કામો માટે રૂ. ૧૧૮ લાખ, ૧૦ ઇએસઆર નાં ઓપરેશન તથા જાળવણી માટે રૂ. ૩૧.૩૮ લાખ, લાલપુર રોડ નજીક કીર્તિ પાનથી ડીપી રોડ તરફ સિમેન્ટની બોક્સ કેનાલ માટે રૂ. ૮૧.૮૯ લાખ મંજુર કરવામાં આવ્યા હતાં.      આ ઉપરાંત દરેક કોર્પોરેટરને ૧૦-૧૦ LED લાઈટ ફીટીગ તથા પદાધિકારીઓને ૫૦-૫૦ લાઈટ ફાળવવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

ડ્રગ્સ કેસમાં એક આરોપીને મુંબઈથી લાવવામાં આવ્યો...

     જામનગર SOG હાલમાં એક ડ્રગ્સ કેસની તપાસ કરી રહ્યું છે. પીઆઇ બી એન ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગરચરની ટીમ આ ડ્રગ્સ કેસમાં એક આરોપીને મુંબઈથી જામનગર લાવી છે.      આરોપીનું નામ ફહીમ ઉર્ફે મેપ મોહમ્મદસલીમ શેખ છે અને તે મુંબઈમાં નાગપાડા વિસ્તારનો રહેવાસી છે. આ આરોપીની સોંપણી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી આપવામાં આવી છે.

કોંગ્રેસનાં પ્રભારીઓ જામનગરમાં

     પ્રદેશ કોંગ્રેસમાંથી  પ્રભારી  રામકિશન ઓઝા તેમજ રાજ્યસભા ના સાંસદ નારણ રાઠવા અને   સિદ્ધાર્થ  પટેલે કાલે ગુરુવારે  સાંજે 6/30 વાગે  સરકીટ હાઉસ ખાતે કોન્ગ્રેસના સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડિયા તથા શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા તથા અન્ય આગેવાનો અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા. ચૂંટણી દાવેદારી સંબંધી વાતચીત થઈ હતી.  

પોલીસકર્મીઓનો વિદાયમાન સમારોહ યોજાયો

     તાજેતરમાં જામનગર પોલીસવડા પ્રેમસુખ ડેલું દ્વારા ૩૨૯ પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં જામનગર સિટી-એ ડિવિઝન દરબાગઢ પોલીસ ચોકી ના હેડ.કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ જાડેજા ની ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે બદલી,  કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર ની સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી તેમજ કોન્સ્ટેબલ વિપુલભાઇ બુધસી  ની સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવેલ છે.      આ ત્રણેય પોલીસકર્મીઓએ પોતાનાં કાર્યકાળ  દરમિયાન પોલીસ સ્ટે.ખાતે નોંધાયેલ કેસો જેવા કે, વિશાળ જથ્થામાં દારૂ પકડ્યાના તેમજ રાત્રીના સમયે મોટાપાયે રમાતા જુગાર તેમજ ટેબલ પર કાનૂની કામગીરી કરી બહોળા પ્રમાણમાં લોક ચાહના મેળવી અને કાયદાના રક્ષક તરીકેની ફરજો બજાવી હતી.      ત્યારબાદ, સિટી-એ ડિવિઝન દરબાગઢ પોલીસ ચોકી પીએસઆઈ એન.વી.હરિયાણી અને સમગ્ર સ્ટાફ દ્વારા બદલી પામેલાં આ ત્રણેય પોલીસ કર્મીઓ નું પુષ્પગુચ્છ વડે  સન્માન કરવામાં આવ્યું હતું. પીએસઆઈ એન.વી.હરિયાણીની બદલીનો પણ હુકમ થયો છે.  

સર્કીટ હાઉસમાં સાપ નીકળતા રેસકયૂ

    જામનગરમાં લાલ બંગલા સર્કલ અંદર આવેલાં સર્કીટ હાઉસ બાજુમાં લાંબા સમયથી નવાં બની રહેલાં બિલ્ડીંગ ખાતે કાલે ગુરૂવારે એક કોબ્રા નીકળતાં, વનખાતાના અધિકૃત સાપ પકડનાર ( લાખોટા નેચર કલબ સભ્ય) દિવ્યેશ જેઠવાએ આ સાપનું રેસકયુ કર્યું હતું.  

કોર્પોરેશનની વેરાશાખાની કામગીરી

     જામનગર મહાનગરપાલિકા, મિલ્કત વેરા શાખા દ્વારા વોર્ડ નં.૧૯ માં કુલ-૬ બાકીદાર આસામીઓ કે જેઓનો મિલ્કત વેરો કુલ રૂ.૧,૨૨,૯૯૭/- બાકી રોકાય છે, જે આસામીઓની રૂબરૂ સ્થળ મુલાકાત લઇ બાકી વેરો ભરપાઇ કરવા માટે જાણ કરવામા આવેલ છે.       તદઉ૫રાંત, વોર્ડ નં.ર માં ૧ (એક) આસામી પાસેથી રૂ.૨૨,૯૯૦/-, વોર્ડ નં.૮ માં ર (બે) આસામી પાસેથી રૂ.૧૯,૧૬૧/-, વોર્ડ નં.૯ માં ૧ (એક) આસામી પાસેથી રૂ.૩૦,૨૦૦/-, વોર્ડ નં.૧૩ માં ર (બે) આસામી પાસેથી રૂ.૪૫,૯૦૩/- અને વોર્ડ નં.૧૭ માં ૧ (એક) આસામી પાસેથી રૂ.૨૬,૭૪૪/- સહિત કુલ-૭ (સાત) આસામીઓ પાસેથી સ્થળ ૫ર રૂ.૧,૪૪,૯૯૮/-ની વસુલાત  કરવામાં આવેલ છે. 

જામનગર જિલ્લાની મતદાર યાદી સંબંધીત સમીક્ષા બેઠક યોજાઇ

     જામનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના રોલ ઓબ્ઝર્વર - જી.પી.સી.બી. ગાંધીનગરના ચેરમેન  આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2022 અંતર્ગત જિલ્લા કલેક્ટર  ડો. સૌરભ પારધી તેમજ જામનગર, દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં  બારડે મતદાર યાદીને લગતા વિવિધ માપદંડોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.      બેઠકમાં રોલ ઓબ્ઝર્વર બારડે ઉપસ્થિત વિવિધ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ પાસેથી હાલના મતદારયાદી સુઘારણા કાર્યક્રમ દરમ્યાન મહિલા મતદારોની નોંધણી, જિલ્લાના જેન્ડર રેશિયોમાં થયેલ સુધારો, વસ્તી ગણતરીમાં નોંંધાયેલ કુલ વસ્તી તેમજ મતદારયાદીમાં નોંધાયેલા મતદારો મુજબ ઈ.પી. રેશિયોમાં થયેલ સુધારો, ૧૮-૧૯ તેમજ ૨૦-૨૯ વયજૂથના યુવા મતદારોની નોંધણીમાં થયેલ વધારો વગેરે જેવી મતદાર યાદી સંબંધીત વિગતો મેળવી હતી તેમજ તબક્કા વાર દરેક માપદંડો ચકાસી વિવિધ જિલ્લાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી, લક્ષ્યાંકો સહિતની બાબતે માર્ગદર્શન પૂરું પાડી જરૂરી સૂચનો કર્યા હતા...