મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

સપ્ટેમ્બર 5, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સરકાર સામે કર્મચારીઓ નો મોરચો

     વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી હોય જુદાં જુદાં કર્મચારી સંગઠનો પડતર માંગણીઓ સંદર્ભે સરકાર સામે મોરચો ખોલી રહ્યા છે. શનિવારે જામનગરમાં સંખ્યાબંધ કર્મચારીઓએ પ્રદર્શન મેદાનથી કલેકટર કચેરી સુધી મહારેલી યોજી હતી અને પોતાની પડતર માંગણીઓ અંગે સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપ્યું હતું.      કર્મચારીઓએ જૂની પેન્શન યોજના પરત લાવવી, નવી પેન્શન યોજનાનો વિરોધ, સાતમા પગારપંચનો સંપૂર્ણ અમલ, ફીક્સ પગારથી નોકરીની પ્રથા બંધ કરવી વગેરે ૧૫ માંગણીઓનો પુનરોચ્ચાર આવેદનપત્રમાં કર્યો છે.      આ ઉપરાંત ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની જામનગર શાખાએ જણાવ્યું છે કે, આગામી સમયમાં ઝોન    કક્ષાએ રેલી ઉપરાંત માસ સીએલ અને પેન ડાઉન તથા અચોક્કસ મુદ્દતની હડતાળ વગેરે કાર્યક્રમો સપ્ટેમ્બર મહીનામાં આયોજિત કરવામાં આવ્યા છે. આ રેલીમાં અગ્રણીઓ દિગ્વિજયસિંહ જાડેજા, ચંદ્રકાંત ખાખરીયા, સેજપાલ શ્રીરામ તથા યુવરાજસિંહ રાણા વગેરે જોડાયા હતાં. કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર બી.એન. ખેરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.  

જૈનસંઘ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

     જામનગરમાં જૈન સંઘ દ્વારા પેલેસ દેરાસરથી રથયાત્રા યોજવામાં આવી હતી. આ રથયાત્રા ડીકેવી કોલેજ થઈ પટેલ કોલોની ખાતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે પહોંચી હતી. બાદમાં આ રથયાત્રા પરત પેલેસ દેરાસર ખાતે પહોંચી હતી. સંઘનાં યુવાનોએ ભગવાનનો રથ ખેંચી ધન્યતા અનુભવી હતી.  

મેઘપર ગામમાંથી વધુ બે બોગસ તબીબ ઝડપાઈ ગયા

       જામનગર એસઓજીએ મોટી ખાવડી નજીકના મેઘપર ખાતેથી વધુ બે બોગસ તબીબને ઝડપી લીધા છે. ઝડપાયેલાં આ બોગસ તબીબ પૈકી એકનું નામ સુકુમાર મનોહર હલદાર છે જે પ. બંગાળના કમાલપુર ગામનો રહેવાસી છે અને હાલ જોગવડ ગામમાં રહે છે. તે દસ ધોરણ ભણેલો છે. બીજાં બોગસ તબીબનું નામ નંદુલાલ નિર્મળચંદ્ર વિશ્વાસ છે, તે પણ પ. બંગાળના રાધવપુર ગામનો રહેવાસી છે અને હાલ મેઘપર ખાતે રહે છે. આ બંને શખ્સોનો દવાખાનાનો માલસામાન તથા દવાઓ વગેરે કબ્જે લેવામાં આવ્યા છે. શષ્ઘ નાં પીઆઇ બી એન ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગરચરની ટીમે આ કામગીરી કરી હતી.

રાહુલ ગાંધીને બહેનોનું વેલકમ

     કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ ખાતે આવ્યા ત્યારે તેઓનાં સ્વાગત કાર્યક્રમમાં જામનગરની બહેનો પણ જોડાઈ હતી. જામનગરમાં પ્રદેશ મંત્રી જેનબબેન ખફીના માર્ગદર્શન હેઠળ આ માટે બહેનોની મહેંદી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેનબબેન દ્વારા ઈનામો આપવામાં આવ્યા હતાં અને હથેળીમાં મહેંદી વડે વેલકમ રાહુલ ગાંધી લખેલી આ તમામ બહેનોને અમદાવાદ લઈ જવામાં આવી હતી. આ તકે શહેર કોંગ્રેસ મહિલા અધ્યક્ષા રંજનબેન ગજેરા તથા રેહાનાબેન શેખ વગેરે જોડાયા હતાં.  

એ.કે.જમાલ બિલ્ડીંગનું રિસ્ટોરેશન કરવામાં આવશે

     જામનગરમાં હાલ ઈન્સ્ટીટયૂટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ તરીકે કાર્યરત એ.કે.જમાલ બિલ્ડીંગ (સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક) આગામી સમયમાં રિસ્ટોરેશન પામશે. આયુર્વેદ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. અનુપ ઠાકર તથા ડો. જોબન મોઢા દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. આ બિલ્ડીંગ ૧૯૧૩ માં આઉટડોર ડિસ્પેનસરી તરીકે બનાવવામાં આવ્યું હતું. એ.કે.જમાલ ત્યારે રંગૂન ખાતે વેપાર કરતાં અને પોતાના વતન જામનગરમાં લોકોને આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે આ બિલ્ડીંગ બનાવવા દાન આપ્યું હતું. જામ રણજીતસિંહ દ્વારા આ બિલ્ડીંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જામનગર સ્ટેટનાં એ સમયનાં ઈજનેર ફૂલચંદ પારેખ દ્વારા આ બિલ્ડીંગની ડિઝાઇન બનાવવામાં આવી હતી. મુંબઈનાં તત્કાલીન અંગ્રેજ ગવર્નર દ્વારા ૧૯૧૬ માં આ ડિસ્પેનશરી લોકો માટે ખૂલ્લી મૂકવામાં આવી હતી. ૧૦૬ વર્ષ પછી હવે આ બિલ્ડીંગ નવાં રૂપરંગ ધારણ કરશે.  

સાર્વજનિક કૃત્રિમ કુંડ ખાતે ગણેશ વિસર્જન

     જામનગરમાં કોર્પોરેશન દ્વારા રાજકોટ હાઈવે પર સ્કોડા કંપનીનાં શોરૂમ સામેનાં ભાગમાં ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં નગરનાં વિવિધ ગણેશ મંડળો દ્વારા ભગવાન ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ તકે મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારી તથા ફાયરનો સ્ટાફ  હાજર રહ્યો હતો.   

ટાઉનહોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

     જામનગર મહાનગરપાલિકા  તા.3/9/2022 ના રોજ આઠમા  તબક્કાનો વોર્ડ નંબર 15 અને 16 નો સેવા સેતુ કાર્યક્રમ ટાઉનહોલમાં યોજાયો હતો.      આ સેવા સેતુ કાર્યક્રમ માં જામનગર મહાનગરપાલિકા અને મામલતદાર કચેરીની જુદી - જુદી સેવાઓ જેમકે, નવા આધાર કાર્ડ તથા આધારકાર્ડમાં સુધારો, આવકનો દાખલો, જાતિનો દાખલો, કુંવરબાઈનું મામેરુ ,દિવ્યાંગ બસ પાસ ,મરણોત્તર સહાય,  ઈ- શ્રમ રજીસ્ટ્રેશન, જન્મ નોંધણી, સોપ રજીસ્ટ્રેશન, કારખાના લાયસન્સ, મોબાઇલ બેન્કિંગ, જન ધન યોજનાનું એકાઉન્ટ ખોલાવવું, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, ડિજિટલ ટ્રાન્જેક્શન લિટ્રેસી, વિધવા સહાય, રાશન કાર્ડ માં સુધારા, પી.એમ. સ્વનિધિ,  હેલ્થચેકઅપ, covid રસીકરણ કેન્દ્ર, પીજીવીસીએલ ને લગતી સેવાઓ, ટેક્સ વિભાગને લગતી  અરજીઓ સહિતના વિભાગોએ શહેરીજનોને  સેવાઓ પૂરી પાડી હતી,  આ કાર્યક્રમનો અંદાજિત 1600 થી 1800  લાભાર્થીઓ એ લાભ લીધો હતો અને  ટેક્સ વિભાગને લગતી 188  અરજીઓ મળી હતી.      આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી...

જામનગરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુદ્ધ ટેબ્લો

     વિધાનસભા ચૂંટણી પૂર્વે માહોલ જામી રહ્યો છે. શનિવારે જામનગરમાં  કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુદ્ધ ટેબ્લો શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફેરવવા માટે આયોજન અમલમાં મૂકવામાં આવ્યું. આ ટેબ્લોમાં વિગતો મૂકવામાં આવી છે કે, કોન્ગ્રેસના કામો બોલે છે. સમગ્ર શહેરમાં મોંઘવારી વિરોધી આંદોલનનાં પ્રસાર માટે આ ટેબ્લો લોન્ચ કરવામાં આવ્યો ત્યારે પ્રદેશ મંત્રી સહારાબેન મકવાણા, શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા, મહિલા કોંગ્રેસ અધ્યક્ષા રંજનબેન ગજેરા, મહામંત્રી સાજિદ બલોચ, નગરસેવક નૂરમામદ પલેજા વગેરે હાજર રહ્યા હતાં.