જામનગરમાં હાલ ઈન્સ્ટીટયૂટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ તરીકે કાર્યરત એ.કે.જમાલ બિલ્ડીંગ (સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક) આગામી સમયમાં રિસ્ટોરેશન પામશે. આયુર્વેદ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. અનુપ ઠાકર તથા ડો. જોબન મોઢા દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. આ બિલ્ડીંગ ૧૯૧૩ માં આઉટડોર ડિસ્પેનસરી તરીકે બનાવવામાં આવ્યું હતું. એ.કે.જમાલ ત્યારે રંગૂન ખાતે વેપાર કરતાં અને પોતાના વતન જામનગરમાં લોકોને આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે આ બિલ્ડીંગ બનાવવા દાન આપ્યું હતું. જામ રણજીતસિંહ દ્વારા આ બિલ્ડીંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જામનગર સ્ટેટનાં એ સમયનાં ઈજનેર ફૂલચંદ પારેખ દ્વારા આ બિલ્ડીંગની ડિઝાઇન બનાવવામાં આવી હતી. મુંબઈનાં તત્કાલીન અંગ્રેજ ગવર્નર દ્વારા ૧૯૧૬ માં આ ડિસ્પેનશરી લોકો માટે ખૂલ્લી મૂકવામાં આવી હતી. ૧૦૬ વર્ષ પછી હવે આ બિલ્ડીંગ નવાં રૂપરંગ ધારણ કરશે.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો