જામનગરમાં હાલ ઈન્સ્ટીટયૂટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ તરીકે કાર્યરત એ.કે.જમાલ બિલ્ડીંગ (સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક) આગામી સમયમાં રિસ્ટોરેશન પામશે. આયુર્વેદ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. અનુપ ઠાકર તથા ડો. જોબન મોઢા દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. આ બિલ્ડીંગ ૧૯૧૩ માં આઉટડોર ડિસ્પેનસરી તરીકે બનાવવામાં આવ્યું હતું. એ.કે.જમાલ ત્યારે રંગૂન ખાતે વેપાર કરતાં અને પોતાના વતન જામનગરમાં લોકોને આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે આ બિલ્ડીંગ બનાવવા દાન આપ્યું હતું. જામ રણજીતસિંહ દ્વારા આ બિલ્ડીંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જામનગર સ્ટેટનાં એ સમયનાં ઈજનેર ફૂલચંદ પારેખ દ્વારા આ બિલ્ડીંગની ડિઝાઇન બનાવવામાં આવી હતી. મુંબઈનાં તત્કાલીન અંગ્રેજ ગવર્નર દ્વારા ૧૯૧૬ માં આ ડિસ્પેનશરી લોકો માટે ખૂલ્લી મૂકવામાં આવી હતી. ૧૦૬ વર્ષ પછી હવે આ બિલ્ડીંગ નવાં રૂપરંગ ધારણ કરશે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો