રાજ્ય સરકાર દ્વારા ૨૧ ઓગસ્ટ થી ચાર રવિવાર દરમિયાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તારીખ ૨૧ ઓગસ્ટ ને રવિવારથી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા નોંધણી કાર્યક્રમ-૨૦૨૨ નો પ્રારંભ કરાવ્યો છે. જે આગામી ૨૮ ઓગસ્ટ, ૪ સપ્ટેમ્બર, અને ૧૧ સપ્ટેમ્બર ના રવિવારના દિવસો દરમિયાન ચાલુ રહેશે.
આ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ૧.૧૦.૨૦૨૨ ની સ્થિતિ ૧૮ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોએ પોતાના મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા અથવા તો સુધારણા કરાવવાની ઝુંબેશમાં જોડાઈ શકે છે. સ્થાનિક રહેવાસીઓના જે તે વિસ્તારના મતદાન મથક પર બી.એલ.ઓ. સમક્ષ સવારે ૧૦.૦૦ વાગ્યાથી સાંજે ૫.૦૦ વાગ્યા સુધીમાં પોતાના નવા નામો નોંધાવી શકશે, જ્યારે પોતાના નામોમાં સુધારો કરાવી શકશે.
ઉપરોક્ત ઝુંબેશ દરમિયાન મતદારયાદીમાં નવું નામ દાખલ કરાવવા માંગતા નાગરિકોએ ૬ નંબરનું ફોર્મ ભરવાનું રહેશે, જ્યારે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે ફોર્મ નંબર ૬ (બી) ભરવાનું રહેશે. ઉપરાંત મતદારયાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ નંબર -૭ ભરવાનું રહેશે. જ્યારે મતદાર યાદીમાં નોંધાયેલી વિગતોમાં સુધારણા કરવા માટે ફોર્મ નંબર -૮ ભરવાનું રહેશે.
ઉપરોક્ત ચારેય રવિવારની ઝુંબેશ દરમિયાન નાગરિકોએ પોતાના જરૂરી આધાર પુરાવા જેવા કે આધાર કાર્ડ ની ઝેરોક્ષ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ની ઝેરોક્ષ, ઘરના કોઈ એક સભ્યના ચૂંટણી કાર્ડ ની ઝેરોક્ષ, પાસપોર્ટ સાઈઝ નો ફોટો, નવા વિસ્તારમાં નામ નોંધણી માટે જુના વિસ્તારનું નામ કમી નો દાખલો, વગેરે સાથે રાખવાનું રહેશે.
જામનગર જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર ચારેય રવિવાર દરમિયાન ઉપરોક્ત મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જ્યાં લોકોએ સંપર્ક સાધવા જામનગર જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી, નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર દ્વારા જણાવાયું છે.આ ઉપરાંત વધુ માહિતી માટે જે તે વિસ્તારના એસ.ટી.ડી. કોડ(૦૨૮૮) ઉપરાંત ૧૯૫૦ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને પણ વધુ માહિતી મેળવી શકાશે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો