આઝાદી-સ્વતંત્રતા આપણને, ભારતીયોને, મફતમાં નથી મળી. આઝાદી પછી જન્મેલાં કરોડો લોકો આદાઝીનું ખરૂં મહત્વ સમજતાં નથી! સ્વતંત્રતા માટે ભારત સહિત વિશ્વનાં સંખ્યાબંધ રાષ્ટ્રોમાં કરોડો માનવો જીવતાં "આગ" મા કૂદયા છે! પોતે દાઝયા છે! સળગ્યા છે! જીવતાં ભડથું થયાં છે. શહીદ થયાં છે. રાષ્ટ્ર માટે જીવ, જિંદગી, સ્વજનો, લાગણી, મોહ-સ્વની ખુશી, બધું જ ન્યોછાવર કર્યું છે. પોતાના પ્રાણોની આહૂતિ આપી છે. તબ જાકે હમ આઝાદ હૂએ હૈ. આજે આપણે લોકશાહીનાં મુકત વાતાવરણમાં શ્વાસ લઇ શકીએ છીએ, તે લાખ્ખો દેશવાસીઓની "શહાદત" ને આભારી છે. નહીંતર, કદાચ, આજે પણ આપણે કેડેથી વાંકા વળી, અદબ વાળી, નજર નીચે ઝૂકાવી, વિદેશી શાસકો સમક્ષ રૈયત બની ઉભાં હોત. આઝાદી અમૂલ્ય ચીજ છે, અમૃત મહોત્સવની વેળાએ, આપણે સૌ આ યાદ રાખીએ.
નવલોહીયા યુવક-યુવતીઓ લાખ્ખો દેશ, બાંધવો, ભગિનીઓ, વડીલોએ આપણી "આઝાદ" જિંદગી માટે પોતાની જિંદગીને હસતે મોંએ, સામી છાતીએ મોતની ચાદર ઓઢાડી છે. આ આઝાદ, મહામૂલી આઝાદીનું આપણે સૌ જીવની માફક જતન કરીએ. આપણાં શહીદો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને એ સૌને ઘરમાંથી પ્રોત્સાહન આપનાર કરોડો દેશવાસીઓનાં આપણે આજિવન ઋણી છીએ. આપણે કીડામંકોડાની જિંદગી જીવતાં હતાં! આપણાં વીરો, વીરાંગનાઓએ આપણને માનવજિંદગીની ભેટ આપી છે. એ કેમ વિસરીએ?!
દેશવાસીઓ "આઝાદ" બની શકે, આઝાદી પ્રાપ્ત કરી શકે તે માટે કરોડો દેશવાસીઓએ પોતાનું ધગધગતું લોહી-ગરમ આંસૂ, ઉષ્ણ ડૂસકાં આ ભાગ્યવાન ભૂમિ પર વહાવ્યા છે. આપણને આઝાદી "મફત" માં નથી મળી. ૧૮૫૭ માં શરૂ થયેલી પ્રથમ સંગઠિત લડાઇ પછી, આજે આપણે આઝાદીનાં ૭૫ વર્ષે પહોંચ્યા છીએ. આપણે હજૂ લાંબી મજલ કાપવાની છે. ખભેખભા મિલાવ્યા વિના રાષ્ટ્રનો સર્વાંગી-સંતુલિત વિકાસ શકય નથી. રાષ્ટ્રનાં પ્રાણ એવા પ્રત્યેક નાગરિકનું સશકિતકરણ (એમ્પાવરીંગ) આપણાં રાષ્ટ્રને મજબૂત, વિકસિત અને સમૃધ્ધ બનાવી શકે.
આપણે પાર્લામેન્ટથી શરૂ કરીને પંચાયત સુધી શ્રેષ્ઠ જનપ્રતિનિધિઓ પસંદ કરી શકીએ તો જ, આપણી આઝાદી બચી શકે. આઝાદીનાં લાભો ભવિષ્યમાં મળતાં રહે. શઠ-ધૂતારાઓ-સ્વાર્થી-લાલચુ-કાયર-જૂઠાબોલા-ભ્રષ્ટ અને કામચોર લોકોના કપાળે "રાજતિલક" કરતાં પહેલાં આપણે સૌએ આઝાદી કા અમૃત મહોત્સવની આ વેળાએ આપણી "મહામૂલી આઝાદી" ને સુરક્ષિત રાખવા લાંબી, કલ્યાણકારી, વિકાસશીલ જીવનદ્રષ્ટિ કેળવતી પડશે. ક્ષુલ્લક સ્વાર્થો ત્યજી "ભારતીય" બનવું પડશે. નાત-જાત-પ્રદેશવાદનાં સંકુચિત વાડાઓની ઉંચી મજબૂત દીવાલો કૂદી આપણે સૌએ વિશાળ બનવું પડશે. આઝાદીનાં પંચોતેર વર્ષ દરમ્યાન, આપણે અસંખ્ય ભૂલો કરી છે! રાષ્ટ્રમાં-સમાજમાં ઝેર-કડવાશ પ્રસરાવ્યા છે! રાષ્ટ્રને પ્રદુષિત કર્યું છે! વાતાવરણને ગંદુ કર્યું છે! સારાં માણસોની કદર ન કરવાનાં પાપ કર્યા છે અને, આ બધી ત્રૂટિઓનાં કડવા ફળ આપણે સૌ ચાખવા મજબૂર બન્યા છીએ! આપણાં દેશવાસીઓએ આઝાદી માટે આપેલાં બલિદાનો આમ એળે જાય તો, તેઓનાં સપનાઓ ચકનાચૂર થયાં કહેવાય!
આપણે આપણું વામણાપણું ત્યજીએ તમામ સ્તરે, તમામ ક્ષેત્રમાં રાષ્ટ્રને ઉન્નત, સમૃધ્ધ, શાંત, સલામત બનાવવા, બધું જ કરી છૂટવાનો પ્રાણસંકલ્પ લઇએ અને "આઝાદી"ના "અમૃતકટોરા" સુધી - બને તેટલી ત્વરાએ પહોંચીએ, સૌને સાથે રાખીએ, સૌ સાથે ચાલીએ અને, સોનેરી મુકામે પહોંચીએ. રાષ્ટ્રને ગૌરવાન્વિત કરીએ.
જયહિંદ
ભારત માતાકી જય

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો