જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા થોડાં સમય પહેલાં સમિતિ હસ્તકની ત્રણ પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક ( આચાર્ય) ની બદલીઓ કરવામાં આવી હતી. જે-તે સમયે આ બદલીઓમાં ચોક્કસ પ્રકારની ગોઠવણ થયાનો આક્ષેપ જાહેર થયા બાદ, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા દ્વારા ગાંધીનગર ખાતે ઉપરોક્ત બદલીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતનાં અનુસંધાને પ્રાથમિક શિક્ષણ નિયામકનો આદેશ છૂટ્યો છે કે, ઉપરોક્ત ત્રણેય બદલીઓના આદેશ રદ્ કરવામાં આવે.
અત્રે નોંધનીય છે કે, જે-તે સમયે, સમિતિએ પાણાખાણ શાળા નં. ૧૯ નાં આચાર્યા દીપા મહેતાની બદલી જોડિયા ભૂંગાના છેવાડાના વિસ્તારમાં આવેલી શાળા નં. ૩૦ માં કરવામાં આવી હતી. ગાંધીનગર વિસ્તારમાં આવેલી શાળા નં. ૫૦ નાં આચાર્ય જયેશ વ્યાસની બદલી બેડેશ્વર વિસ્તારમાં શાળા નં. ૨૭/૫૧ માં કરવામાં આવી હતી. અને, જોડિયા ભૂંગાની શાળા નં. ૩૦ માંથી આચાર્યા હેમાંગિની ખાણધરની બદલી ગાંધીનગર વિસ્તારમાં શાળા નં. ૫૦ માં કરવામાં આવી હતી. ગાંધીનગર કક્ષાએથી બદલીઓના આ હુકમ રદ્દ થતાં હવે ત્રણેય મુખ્ય શિક્ષકોને પોતાની મૂળ જગ્યાએ, પુનઃ તેઓની જૂની શાળા ખાતે મૂકવાના રહેશે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો