શ્રાવણ માસના ત્રીજા સોમવારે ગઈકાલે છોટી કાશી જામનગરનાં વિવિધ શિવાલયોમાં ભક્તોએ મોટી સંખ્યામાં પૂજા અર્ચના અને દર્શનનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો. વિવિધ શિવાલયોમાં જુદાં જુદાં પ્રકારનાં શણગાર યોજવામાં આવ્યા હતાં. પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા શ્રી ગૌરીશંકર મહાદેવ મંદિરે તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર વિસ્તારમાં આવેલા શ્રી ઇચ્છેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ તિરંગાના શણગાર કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ધનબાઈ નાં ડેલા પાસે આવેલા, ચારણફળીમાં શ્રી ખીમા મામા યુવક મિત્ર મંડળ દ્વારા ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે ભગવાન શ્રી રામેશ્વર મહાદેવ મંદિર માં પણ તિરંગાની થીમ પર શણગાર યોજવામાં આવ્યાં હતાં.
શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરે દરેક ધ્વજાની સાથે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર તથા શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે પણ સોમવાર નિમિત્તે વિવિધ શણગાર કરવામાં આવ્યાં હતાં. સોમવારે હજારો શિવભક્તોએ શણગાર દર્શનનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો. અને, હર હર મહાદેવ હર નો જયઘોષ કર્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો