ઘરવિહોણા લોકો આશ્રયસ્થાનો ખાતે સારી રીતે સુવિધાઓ સાથે જિવી શકે તે માટે રાજ્યકક્ષાની શેલ્ટર હોમ મોનિટરીંગ કમિટી કાર્યરત છે. આ કમિટીના ચેરમેન પી.કે. તનેજાના અધ્યક્ષસ્થાને ૨૬ મીએ જામનગર કોર્પોરેશનમાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં કમિશનર વિજયકુમાર ખરાડીએ ચેરમેન નું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યા પછી ડેપ્યુટી કમિશનર બી.એન.જાનીએ શહેરમાં આશ્રયસ્થાનોની સ્થિતિ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. બાદમાં ચેરમેન દ્વારા કોર્પોરેશનને કેટલાંક સૂચનો કરવામાં આવ્યા હતાં.
ચેરમેને જણાવ્યું હતું કે, હાપા ખાતે આવેલા શેલ્ટર હોમનો વધુમાં વધુ લોકો લાભ લ્યે તે સુનિશ્ચિત કરવું, આ સ્થળે સિટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવી તથા શેલ્ટર હોમ ખાતે ચાલતી તમામ કામગીરીનું ડિજિટાઈઝેશન કરવું. આ ઉપરાંત ચેરમેને જણાવ્યું હતું કે, રાત્રિ દરમિયાન શહેરમાં જે લોકો ફૂટપાથ પર રહેતાં હોય તે લોકો પૈકી વધુમાં વધુ લોકોને પોલીસ વિભાગની મદદ વડે શેલ્ટર હોમ ખાતે ખસેડવા, દરેક શેલ્ટર હોમ નું સરળ નામકરણ કરવું તથા સૌ સંબંધિત અધિકારીઓને શેલ્ટર હોમની વ્યવસ્થા અંગે માહિતગાર કરવા. આ સાથે ચેરમેને જણાવ્યું હતું કે, શેલ્ટર હોમ ખાતે રહેતાં લોકો સરળતાથી આજિવિકા મેળવી શકે તે માટે તેઓની સ્કીલ ડેવલપમેન્ટ માટે પ્રયાસો કરવા અને સરકારની વિવિધ ૨૧ યોજનાઓનો આ લોકોને લાભ મળે તે માટે વ્યવસ્થા ગોઠવવી.
આ બેઠક પૂર્ણ થયા પછી સૌ અધિકારીઓએ રણમલ તળાવ પરિસર, મ્યૂઝિયમ તથા હાપા ખાતે આવેલા શેલ્ટર હોમની વ્યવસ્થા નિહાળી હતી. આ ઉપરાંત બેડી ખાતેનાં શેલ્ટર હોમ નું કામ ઝડપથી પૂર્ણ થાય અને વધુમાં વધુ લોકો તેનો લાભ મેળવી શકે તે માટે સૂચનો કરવામાં આવ્યા હતાં.
આ બેઠકમાં રાજ્ય કક્ષાની કમિટીના સભ્ય ડો. ભૂષણ પૂનાની અમદાવાદ ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતાં.
આ બેઠકમાં GULM વિભાગના ડેપ્યુટી ડાયરેકટર સુભાષ કટારા ઉપરાંત સ્ટેટ મિશનના વડા સિધ્ધાર્થ પટેલ, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશનોઈ, યુસીડી વિભાગના કન્ટ્રોલીંગ અધિકારી જિગ્નેશ નિર્મળ તથા પ્રોજેક્ટ ઇન્ચાર્જ અશોક જોષી વગેરે હાજર રહ્યા હતા.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો