મુખ્ય સામગ્રી પર જાઓ

મગફળી અને સીંગતેલનાં આ ઝેરી ચકકરને, આ રીતે સમજો !


    દર વર્ષે દિવાળીનાં પર્વો પહેલાંના સમયગાળામાં અખબારો અને ટીવી ગાજતા અને ગૂંજતા હોય છે કે, આગામી લાભપાંચમથી સરકાર ટેકાના ભાવે મગફળીની હોબેશ ખરીદી કરશે. આ માટે ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકે તે હેતુથી અગાઉથી તારીખો પણ જાહેર કરવામાં આવતી હોય છે. વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં માર્કેટ યાર્ડ મારફતે ટેકાના ભાવે ખરીદી માટેની વ્યવસ્થા સરકારી તંત્રો મારફતે ગોઠવવામાં આવતી હોય છે. સરકાર ખેડૂતોની સમૃદ્ધિ માટે રાતદિવસ કામ કરે છે, એ પ્રકારના પ્રચાર માટે બધાં જ સંબંધિતો ઓવરટાઈમ કરતાં હોય છે. ત્યારબાદ, વિવિધ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી થતી રહે છે. દરમિયાન, ટેકાના ભાવ કરતાં ઉંચા ભાવે જાહેર હરાજીમાં પણ લાખો ટન મગફળી વેચાતી રહે છે. સારી મગફળી ખાનગી વેપારીઓ મારફતે ખરીદાતી રહે છે અને નબળી મગફળી, ઘણાં કિસ્સાઓમાં કૌભાંડનાં માધ્યમથી, સરકારી અધિકારીઓ ટેકાના ભાવે ખરીદતાં રહે છે. ખેડૂતોનાં ઘરોમાં ચિક્કાર નાણું ઠલવાતું રહે છે.
    તમે ક્યારેય વિચાર કર્યો છે કે, સરકારે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી સહિતની ખેત જણસો શા માટે ખરીદવી જોઈએ ?!
    જે ખેડૂતો આર્થિક રીતે નબળાં હોય, તેઓનાં પરિવારની આજિવિકા ખેતીથી માંડ માંડ ચાલતી હોય, જે ખેડૂતો ખૂબ જ નાની જમીન અને મર્યાદિત ખેત ઉત્પાદન ધરાવતાં હોય - તેઓને આર્થિક ટેકો આપવા, ગરીબી રેખા હેઠળના આ ખેડૂતોને સહાય માટે તેઓ પાસેથી ખેત ઉત્પાદન ટેકાના ભાવે ખરીદવામાં આવે તેમાં કાંઇ ખોટું નથી. પરંતુ શ્રીમંત ખેડૂતોનાં ખેત ઉત્પાદન સરકારે શા માટે ખરીદવા જોઈએ ?! તેઓ ખેતી કરે છે એ એમનો ધંધો છે, તેઓ સેવા નથી કરતાં, બિઝનેસ કરે છે.
    અને, સૌથી મહત્વનો મુદ્દો એ છે કે - ખેત ઉત્પાદન ટેકાના ભાવે ખરીદીને સરકાર ખેડૂતોને જે કરોડો રૂપિયા આપે છે તે નાણાં કરદાતા નાગરિકોનાં છે. સરકાર કે શાસકપક્ષ આ નાણાં ખિસ્સામાંથી નથી આપતાં, આવી દરિયાદિલી શા માટે ?! અને, કરદાતા નાગરિકોનાં નાણાં આ રીતે ચૂંટણીમાં મતો મેળવવા માટે સરકારો અને શાસકપક્ષો આપણને કરદાતાઓને પૂછયા વિના શા માટે વેડફી નાંખે છે ?! કરદાતા નાગરિકોને આ આખી કવાયતથી ફાયદો શું ?! આ ખરીદીનાં અંતે સરકારી ગોદામોમાં લાખો ટન નબળાં ખેત ઉત્પાદનો ઠલવાય છે, જેમાં આગ પણ લાગી જાય ! સડી પણ જાય ! કચરો પણ બની જાય ! કરદાતા નાગરિકોનાં કરોડો રૂપિયા ભૂત ! રાજકીય પક્ષોને મતો અને ખેડૂતોને રૂપિયા મળી જાય ! વચ્ચેથી સરકારી તંત્રો મલાઈ તારવી લ્યે ! મરો કરદાતા નાગરિકોનો.
    
હવે શરૂ થાય છે - બીજો ખતરનાક ખેલ.

    મગફળી સહિતનાં ખેત ઉત્પાદનની બીજી સિઝન આવે ત્યાં સુધી, આ જ કરદાતા નાગરિકોએ મોંઘા ભાવનું સીંગતેલ ખાવાનું ! કરદાતા નાગરિકોનાં નાણાંથી ખરીદાયેલી અને સંગ્રહ થયેલી મગફળી બજારમાં તેલનાં ભાવોને કાબૂમાં રાખવા ક્યાંય કામ ન આવે !! આ ઝેરી ચક્કર આ રીતે સમજો.
    કરદાતા નાગરિકોએ સરકારને, શાસકપક્ષને, ખેડૂતોને અને તેલિયા રાજાઓને જિવાડવાના !! અને, કરદાતા નાગરિકોનું બધી બાજુએથી *તેલ* કાઢવામાં આવે !!

    આ ઝેરી ચક્કરને ઝડપથી સમજી લો, કરદાતા નાગરિકો આ તમારાં હિતની વાત છે, જે ક્યારેય અખબારોમાં ગાજશે નહીં, ટીવીમાં ગૂંજશે નહીં.
                                                                                                                                     





 

ટિપ્પણીઓ