જામનગરમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળનાં વિસ્તારમાં એક ઘરફોડ ચોરી થયાનું શુક્રવારે જાહેર થયું હતું. આ ચોરીની જાહેર થયેલી વિગતો એવી છે કે, શહેરનાં પાંચ હાટડી વિસ્તારમાં રોયલ બેકરીની બાજુમાં રહેતાં બશીરભાઈ લુસવાળા નામનાં મેમણ વેપારીનાં રહેણાંક મકાનમાં ચોરી થઇ હતી.
ત્યારબાદ શુક્રવારે મોડી રાત્રે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, ચાંદીબજાર વિસ્તારમાં રખડતાં બે શખ્સોને ચોરીનાં આ ગુનાનાં અનુસંધાને ઝડપી લેવામાં આવ્યા છે અને તેઓનાં કબજામાંથી રૂ. ૭,૪૦,૦૦૦ નો કુલ મુદ્દામાલ મળી આવ્યો છે જેમાં રૂ. ૭૫,૦૦૦ રોકડા અને રૂ. ૬,૬૫,૦૦૦ ની કિંમતનાં આશરે ૧૫ તોલા સોનાનાં દાગીનાનો સમાવેશ થાય છે. એક આરોપીનું નામ મોહમ્મદ રફીક દૂધવાલા છે, ૨૮ વર્ષનો આ શખ્સ વેપારી છે અને રંગૂનવાલા હોસ્પિટલની બાજુમાં ખેડૂન એપાર્ટમેન્ટમાં બીજાં માળે રહે છે. બીજો આરોપી ઈકામુદીન મહમ્મદઓસમાણ સરગઠ ૩૦ વર્ષનો છે અને મજૂરીકામ કરે છે, જે લુહારસાર વિસ્તારમાં ઈશુકી મંઝિલમાં ત્રીજાં માળે વસવાટ કરતો હોવાનું જાહેર થયું છે.
સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન નાં પીઆઇ એમ જે જલુ નાં માર્ગદર્શન હેઠળની પીએસઆઇ મોઢવાડીયા ની ટીમે આ બંને શખ્સોને ચોરીની ફરિયાદ પછીનાં ગણતરીના કલાકોમાં જ શોધી કાઢ્યા છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો