જામનગરના વોર્ડ નંબર ૪ માં દ્વારકેશ પાર્ક (રામેશ્વરનગર) ખાતે મહાનગરપાલિકાના ઇજનેરોએ મકાનોના પ્લીન્થની ઉંચાઇ કરતાં વધુ ઉંચાઇએ રોડ બનાવી નાંખતા, રોડ પરનું પાણી ઘરોમાં ધૂસી જશે એ બીકે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવેલો. શાસકપક્ષનાં જ કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ આ મામલે સિટી ઇજનેરને વાત કરતાં તેઓએ તંત્રને રોડ તોડી ફરીથી નવો બનાવવા સૂચના આપેલી પછી પણ તંત્રએ રોડ ન તોડતાં, કોર્પોરેટરની આગેવાની હેઠળ સ્થાનિક મહિલાઓએ કોર્પોરેશનમાં કમિશનર કચેરી સમક્ષ દેખાવો કર્યા. થાળીઓ વગાડી, કોન્ટ્રાકટર, તંત્રની મિલી ભગતના આક્ષેપો થયાં, આ વોર્ડના અન્ય ૩ કોર્પોરેટરને પણ નિશાન બનાવાયા, સ્થાનિક લોકો વચ્ચે રોડ બાબતે મતભેદો, લડાઇ શરૂ કરાવવાનો પણ કોન્ટ્રાકટર પર આક્ષેપ થયો. મામલો ગરમ બન્યો.
બાદમાં, અંતે મહાનગરપાલિકાએ જેસીબીની મદદથી ગુરૂવારે સાંજે આ તાજો બનેલો ઉંચો રોડ તોડવાની કામગીરી શરૂ કરી છે.
આ રોડ આટલી ઉંચાઇએ બન્યો શું કામ ? આ કામગીરી દરમ્યિાન સિવીલ શાખાના નિરીક્ષક કે સીટી ઇજનેર શું કરતાં હતાં? આ રોડ તોડતાં જે નુકશાન થશે તેની ભરપાઇ કોણ કરશે? આટલી બેદરકારી દાખવનાર નિરક્ષક-ઇજનેર કે કોન્ટ્રાકટર ઉપર કોઇ પગલાં લેવાશે કે કેમ તે પણ સો મણનો સવાલ છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો