જામનગરમાં નાગનાથ નાકા નજીક નોકરી પર રહેલાં TRB કર્મચારીઓ પૈકી એક કર્મચારીએ કાલે એક વાહનચાલકને જાહેરમાં ફડાકો ખેંચી લીધો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો અને સમગ્ર જામનગરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. જે વાહનચાલકને ફડાકો ખેંચવામાં આવ્યો તે દિવ્યાંગ હોવાનું જાહેર થયું છે.
ટ્રાફિક PI YJ વાઘેલાએ જણાવ્યુ હતું કે, દશરથસિંહ વાઢેર નામનાં આ કર્મચારીને ફરજમુકત કરવામાં આવ્યો છે.
ફડાકાની આ ઘટના સમયે અતિ વ્યસ્ત એવાં નાગનાથ નાકા વિસ્તારમાં લાંબા સમય સુધી ટ્રાફિક જામમાં સેંકડો વાહનો ફસાયા હતા. હજારો નગરજનો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
અત્રે નોંધનીય છે કે, મોટાભાગના ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિક પોલીસની હાજરી હોતી નથી, ટ્રાફિક પોલીસ જ્યાં હાજર હોય છે ત્યાં પણ TRB કર્મચારીઓ જ ધમધમતા ટ્રાફિકનુ અણઘડ રીતે નિયમન કરતાં હોય છે. આ કર્મચારીઓને કોઈ ખાસ તાલીમ આપવામાં આવી નથી,પરિણામે શહેરમાં જુદાં જુદાં ટ્રાફિક પોઈન્ટ પર હજારો વાહનચાલકોને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. પોલીસનો ટ્રાફિક વિભાગ આ મુદા પ્રત્યે ગંભીર હોવાનું નજરે ચડતું નથી.
જિલ્લા પોલીસ વડાએ શહેરની ટ્રાફિક નિયમન વ્યવસ્થાને અસરકારક બનાવવાની તાતી જરૂરિયાત હોવાનું હજારો નગરજનો માની રહ્યા છે. વર્ષોથી જામનગરમાં ટ્રાફિક અવ્યવસ્થા જોવા મળી રહી છે. જેને પરિણામે સંખ્યાબંધ અકસ્માતો અને ઝઘડાઓ થતાં રહેતાં હોય છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો