કોઈ પણ શહેર, ખાસ કરીને મહાનગરના સંતુલિત અને ઝડપી વિકાસ માટે TP (ટાઉન પ્લાનિંગ) સ્કીમ સૌથી અસરકારક અને કાયદેસરનું શસ્ત્ર છે, જે મહાનગરપાલિકાને વધારાની કરોડો રૂપિયાની આવક પણ રળી આપે છે અને સામાજિક તથા માળખાકીય સુવિધાઓ વધારવા માટે આ TP સ્કીમથી મહાનગરપાલિકાને વધારાની લાખો ચોરસ ફૂટ જમીનો ઉપલબ્ધ થતી હોય છે. જામનગર મહાનગરપાલિકાએ પાછલાં એક જ વર્ષમાં ચાર ચાર TP સ્કીમની મંજૂરી મેળવી છે. તાજેતરમાં મુખ્યમંત્રીએ જામનગર માટે નવી TP સ્કીમ નં. ૨૩ ને મંજૂરી આપી.
આ સ્કીમથી મહાનગરપાલિકાને અંદાજે રૂ. ૧૨૫ કરોડની આવક થશે કેમ કે, આ સ્કીમમાં મહાનગરપાલિકાને વેચાણ માટે રહેણાંક વિસ્તારના ૬ અને કોમર્શિયલ વિસ્તારના ૩ વિશાળ પ્લોટ ઉપલબ્ધ થયાં છે.
આ TP સ્કીમમાં કાલાવડ બાયપાસ ઠેબા ચોકડી પાસે JCR સિનેમાઘરથી માંડીને છેક લાલપુર બાયપાસ ચોકડી નજીકના પેટ્રોલ પંપ સુધીનો વિસ્તાર તથા ઠેબા ચોકડીથી માંડીને છેક મહાનગરપાલિકાનાં ESR સુધીનાં વિશાળ વિસ્તારનો સમાવેશ થાય છે. પુષ્કળ રહેણાંક પ્રોજેક્ટ આવશે. હજારો મકાનો બનશે. લોકોને સસ્તા ઘરો મળી શકશે.
મહાનગરપાલિકા આ વિસ્તારોમાં અંદાજે ૧૫ કિલોમીટર લંબાઈના રસ્તાઓ બનાવી શકશે, જેમાં પહોળાં રસ્તાઓનો પણ સમાવેશ થાય છે. પાણીની સંખ્યાબંધ પાઈપ લાઈન પથરાશે. બગીચાઓ અને આરોગ્ય કેન્દ્ર બનશે.
આ અગાઉ માર્ચ અને મે મહિનામાં જામનગરની અન્ય ત્રણ TP સ્કીમ નં. ૧૧, ૨૦ અને ૨૧ ને મુખ્યમંત્રીએ મંજૂરી આપી હતી. તાજેતરમાં મંજૂર થયેલી TP સ્કીમમાં કુલ ૧૪૧.૨૦ હેકટર જમીનનો સમાવેશ થાય છે, એમ કોર્પોરેશને જણાવ્યું છે.
આ TP સ્કીમ અમલમાં આવતાં ૩૯,૦૦૦ ચોરસ મીટર કરતાં વધુ જમીન પર બગીચા બનાવવા ૩૦ પ્લોટ ઉપલબ્ધ થયાં છે. શહેરી આવાસ યોજના માટે ૬૦,૦૦૦ ચોરસ મીટર કરતાં વધુ જમીન ઉપલબ્ધ થશે. જેમાં કુલ ૮ પ્લોટનો સમાવેશ થાય છે. ૭,૫૦૦ ચોરસ મીટર કરતાં વધુ જમીન ખૂલ્લી મૂકી શકાશે, જેનાંથી હવા ઉજાસ મળી રહેશે. સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૩૯,૦૦૦ ચોરસ મીટર કરતાં વધુ જમીન ઉપલબ્ધ થશે. કોમર્શિયલ વેચાણ માટે ૬૦,૦૦૦ ચોરસ મીટર કરતાં વધુ જમીન ઉપલબ્ધ થશે. રહેણાંક વેચાણ માટે કોર્પોરેશનને ૬૧,૦૦૦ ચોરસ મીટર કરતાં વધુ જમીન ઉપલબ્ધ થશે.
આ રીતે આ બધી જમીનો પર વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થતાં આ વિસ્તારોમાં વસવાટ માટે જનારાં ૫૦,૦૦૦ થી વધુ નગરજનોને ફાયદો થશે. શહેરની ગીચતા તથા ટ્રાફિક નું ભારણ ઘટશે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો