ગુજરાત સરકારે રાજ્યમાં આતંકવાદ અને સંગઠિત અપરાધ (ઓર્ગેનાઇઝડ ક્રાઇમ) રોકવા ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (ગુજ-સીટોક) નામનો કાયદો બનાવ્યો છે. આ કાયદા હેઠળ જામનગરમાં પ્રથમ ગુનો નોંધાયો છે. કુલ ૧૪ શખ્સો પોલીસના કબજામાં છે, ૧૦ મો શખ્સ વિદેશમાં હોવાનું કહેવાય છે અને બાકીના ૪ શખ્સોના નામો, ગુનો નોંધાયા પછી પણ, હજૂ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી. પોલીસ કહે છે: ધરપકડો બાકી હોય આ ૪ શખ્સોના નામો હાલ જાહેર કરવામાં આવ્યા નથી.
ગુજ-સીટોક કાયદા હેઠળ જામનગરના અગ્રણી બિલ્ડર નિલેશ મનસુખલાલ ટોલિયા, શાસકપક્ષના કોર્પોરેટર અતુલ વિઠ્ઠલભાઇ ભંડેરી, નિવૃત પોલીસકર્મી (એલસીબી) વશરામભાઇ મિયાત્રા, જમીન માફિયાની માલિકીના મનાતા "અખબાર"ના સંચાલક પ્રવિણ પરસોતમ ચોવટીયા ઉપરાંત બિલ્ડર મુકેશ વલ્લભભાઇ અભંગી, જિગર ઉર્ફે જિમ્મી પ્રવિણચંદ્ર આડતીયા (વિદેશી ચલણનો વેપારી), અનિલ મનજીભાઇ પરમાર તથા પ્રફૂલ જયંતિભાઇ પોપટ સામે ગુનો નોંધી ધરપકડો કરવામાં આવી છે. નવમો આરોપી જશપાલસિંહ (યશપાલસિંહ) જાડેજા જેલમાં છે, તેના વિરૂધ્ધ જાંબુડાના એક જમીન કૌભાંડ સહિતના ગુનાઓ નોંધાયા છે.
જમીન માફિયાગીરીની આ આખી ગેંગનો મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ (રાણપરીયા) છે તેના વિરૂધ્ધ પણ ગુનો નોંધાયો છે. રાજ્યના પોલીસવડા આશિષ ભાટીયાના સીધાં માર્ગદર્શન પ્રમાણે, રાજકોટ રેન્જના આઇજી સંદીપસિંઘની કાયદાકીય મંજૂરી બાદ, જામનગરના એસપી દિપેન ભદ્રનના સીધાં સુપરવિઝન હેઠળ એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીએ આ કેસની કાર્યવાહી સંભાળી છે. સમગ્ર મામલાની તપાસ નવનિયુકત એએસપી નિતેશ પાડંેને સોંપવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહીની વિગતો આઇજી તથા એસપીએ શુક્રવારે બપોરે જિલ્લા પોલીસ ભવન ખાતે પત્રકાર પરિષદમાં જાહેર કરી છે અને જણાવ્યું છે કે, તપાસ દરમ્યાન જે શખ્સોના નામો ખૂલશે તેઓની પણ ધરપકડો કરવામાં આવશે.
જામનગર પોલીસના આ ઐતિહાસિક ઓપરેશનથી સમગ્ર હાલારમાં શુક્રવારે સનાસનાટી ફેલાઇ ગઇ છે.
શુક્રવારે એક તરફ આ કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા જામનગરમાં જ પટેલ કોલોની ખાતે પોતાના એક કૌટુંબિક સંબંધીને ત્યાં હાજર હતાં.
રિલાયન્સના સિનિયર ગ્રુપ પે્રસિડેન્ટ, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ જામનગર પોલીસને અભિનંદન આપ્યા છે.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો