કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગરના ટાઉનહૉલ ખાતે સરકારે ૨૦ વર્ષના વિકાસની ઉજવણી અંતર્ગત “ વિશ્વાસ થી વિકાસ યાત્રા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સ્વ સહાય જૂથોને ચેક વિતરણ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડના લભાર્થીઓને કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લાની મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે હેતુથી ત્રણ ગ્રામ સંગઠનોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ હેઠળ કુલ રૂ.૨૨ લાખ ૫૦ હજારની રકમના ચેક, બે સખી મંડળોને રૂ.૬ લાખની કેશ ક્રેડિટ લોન તેમજ સ્વ સહાય જૂથો ને કુલ રૂ.૧૧ લાખની રકમની ટર્મ લોન તેમજ આયુષ્માન કાર્ડના ૫ મહિલા લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ સ્વ સહાય જૂથો અંગે ફિલ્મ બતાવવામાં આવી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થતિમાં અમદાવાદ ખાતે આયોજિત રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. બાદમાં મંત્રીએ જામનગર મહાનગર પાલિકા આયોજિત સર્વ રોગ નિદાન કેમ્પની પણ મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, કમિશનર વિજય ખરાડી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટર એન.એફ.ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી ડી. એસ.મકવાણા , તાલુકા વિકાસ અધિકારી સરવૈયા, અધિકારીઓ, કોર્પોરેટરો તેમજ બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો